સમગ્ર જિલ્લામાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજયના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ઉમરસાડી-માછીવાડમાં નીકળેલી શોભાયાત્રામાં જોડાયા
— વાપીમાં સર્કલ પર ધનુષ-ગદાનું મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું
અયોધ્યામાં ભગવાનશ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકાના ઉમરસાડી ગામના માછીવાડમાં શ્રી સંકટ મોચન હનુમાન મંદિરમાં દર્શન કરી ગ્રામજનો દ્વારા નીકળેલી ભગવાન શ્રીરામની વિશાળ શોભાયાત્રામાં પણ મંત્રીશ્રી પગપાળા જોડાયા હતા.

જયશ્રી રામના નારા અને ભજન સાથે સમગ્ર પંથક રામમય બન્યો હતો. તહેવાર હોય તે રીતે ઉમરસાડી ગામમાં ઘરે ઘરે આંગણામાં ભગવાન શ્રીરામના નામની રંગોળી પુરી પોતાની ભક્તિના દર્શન કરાવ્યા હતા.

શોભાયાત્રા બાદ મંત્રીશ્રીએ ઉમરસાડીના પટેલ ફળિયામાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

બાદમાં મંત્રીશ્રી વાપી ખાતે પહોંચ્યા હતા. જ્યાં વાપી ટાઉનમાં પોસ્ટ ઓફિસ સામે મંત્રીશ્રીએ હનુમાનજી મંદિરમાં દર્શન કરી સર્કલ પર નવનિર્મિત કરાયેલા ધનુષ – ગંદાનું જન મેદની વચ્ચે લોકાર્પણ કર્યુ હતું. આ સમયે ચોક ઉપર અયોધ્યામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ થઈ રહેલી રામલલ્લાની પ્રાણ પતિષ્ઠાના જીવંત પ્રસારણને વિશાળ એલઈડી ઉપર વાપીના નગરજનોએ નિહાળી આ ઉજવણીમાં સહભાગી થયાની લાગણી અનુભવી હતી.

પાવન જન્મભૂમિ અયોધ્યાના મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયાની ખુશી વર્ણવી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે,
જે દિવસની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી તે ઐતિહાસિક મંગળ અવસર આજે આવ્યો છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થતા સૌની આતુરતાનો અંત આવ્યો છે. આજે સમગ્ર દેશમાં નવી ચેતના અને ઊર્જાનો સંચાર થયો છે. આજે સનાતન સંસ્કૃતિના ઉદયનો દિવસ છે. ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સમગ્ર દેશ રામમય બન્યો છે. લોકોમાં રાષ્ટ્રપ્રેમના દર્શન થઈ રહ્યા છે. આજે નવા ભારત, નવા રામરાજ્યનું નિર્માણ થઈ રહ્યાની આ પાવન ઘડી છે. આજે ઠેર ઠેર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો.
-મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ
મંત્રીશ્રીએ સૌને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિને ધરમપુરના લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં સૌએ જીવંત પ્રસાણ નિહાળ્યું હતું. મંત્રીશ્રી કનુભાઈ ધરમપુર ખાતે પહોંચી સૌ સાથી કાર્યકરો સાથે વડાપ્રધાનશ્રીના હસ્તે થઈ રહેલી વૈદિક વિધિને નિહાળી હતી.

વાપીની મુખ્ય બજારો સહિત અનેક વિસ્તારો રોશનીથી ઝગમગતા થયા છે. રામભક્તોએ રામના મોટા મોટા પોસ્ટર લગાવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર કેસરી ધજા પતાકા ને કારણે કેસરિયો રંગ ઉભર્યો છે.

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશ સાથે વાપીમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શોભાયાત્રા, મહાપ્રસાદ બાદ સાંજે મંદિરોમાં 25000 દીવડા પ્રગટાવી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,
ભગવાન રામનું આગમન સારું શુકન લઈને આવ્યું છે. આ ધન્યઘડીને આગામી 5 વર્ષ સુધી દેશના સુવર્ણ યુગ તરીકે ઉજવીશું.
-રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ

